એક દિવસ
બરફને ખૂબ ઠંડી લાગી.
ઠંડીથી એ એટલો ધ્રુજે
જાણે કે એની ભીતર ધરતીકંપ ન થતો હોય.
મેં ધાબળા પર ધાબળા ઓઢાડ્યા
તો પણ કંઈ ન વળ્યું.
મેં એની આસપાસ તાપણું કર્યું.
ત્યારે કૈંક કળ વળી.
.
એક દિવસ
આગને અસહ્ય બળતરા ઉપડી.
નહીં જંપ નહીં ચેન
કેવળ બેચેન.
આગના મોંમાં બરફ મૂક્યો
પણ કૈં કરતા કૈં વળે નહીં.
આગ તો કેવળ અંદરથી બળ્યા કરે
છેવટે મેં એના હોવાની આસપાસ
જળની દીવાલ ચણી
ત્યારે કૈંક કળ વળી.
.
મને ખૂબ મોડે મોડે સમજાયું
કે આ બરફ અને આગ તો
મારી ભીતર
થીજી જતા અને બળતરા અનુભવતા
સુખ અને દુ:ખ જ છે.
.
( સુરેશ દલાલ )