ન આવ્યો – ભગવતીકુમાર શર્મા

સૂનકારથી સાદ ન આવ્યો;

મને મોર પણ યાદ ન આવ્યો.

 .

મેલીને મરજાદ ન આવ્યો;

આંખોમાં વરસાદ ન આવ્યો.

 .

પરદો તો વેળાસર ઊઘડ્યો;

યાદ મને સંવાદ ન આવ્યો.

 .

કાસદ થઈ આવ્યાં પારેવાં;

પણ અક્ષર એકાદ ન આવ્યો.

 .

સળંગ સૂત્રતા શી જળવાઈ !

દુ:ખોમાં અપવાદ ન આવ્યો.

 .

કુરુક્ષેત્ર, સ્વજનો, સ્નેહીઓ;

કેમ મને અવસાદ ન આવ્યો.

 .

કંઠ શુષ્કને કાન ના સરવા;

એક અનાહત નાદ ન આવ્યો.

.

( ભગવતીકુમાર શર્મા )

ઉદ્ધવગીત – વીરુ પુરોહિત

ઉદ્ધવજી ! આજે સમજાણું; ચંદનની આશા કરીએ, તો મળે નાગના ડંખ !

ક્યાં જઈને વર્ણવીએ, ઉદ્ધવ ! અહોરાતનાં દુ:ખ ?

દીપકની જ્યોતિમાં ઉપસે મોહનવરનું મુખ !

સ્મરણ કરાવે ખીલ્યાં કેસૂ, ખેલ્યા’તા ફાગ;

નરદમ જુઠ્ઠી આશ બંધાવે નળિયે બોલી કાગ !

ઘૂઘવે ઉદધિ આખો, જ્યારે કાને ધરીએ શંખ !

ઉદ્ધવજી ! આજે સમજાણું; ચંદનની આશા કરીએ, તો મળે નાગના ડંખ !

 .

વૃક્ષ નહીં તો શોભા શી છે પથરાતી વેલીની ?

વીણ માધવ તો કોણ ઉઘાડે સાંકળ આ ડેલીની ?

સૂર્ય વિના ના હોય જ, ઉદ્ધવ ! પ્રકાશ પણ ચંદાનો;

કૃપા કરીને સૂચવો યુક્તિ, ગોકુળની નંદાનો !

કરત મથુરા પર ચકરાવા, મળી હોત જો પંખ !

ઉદ્ધવજી ! આજે સમજાણું; ચંદનની આશા કરીએ, તો મળે નાગના ડંખ !

 .

( વીરુ પુરોહિત )

વોટર પોએમ – મુકેશ જોશી

આ પાણી જેવું પાણી મારા મનની વાત સમજતું

મારા દુ:ખમાં ભાગ પડાવા આંખો થકી વરસતું

 .

મારા ઘરનું સરનામું એ જાતે શોધી લાવે

ભરચોમાસે ઠઠમાઠથી ઘરમાં રહેવા આવે

કદી આંખથી કદી આભથી ભૂસકા મારી હસતું

…આ પાણી જેવું પાણી

 .

તરસ જુદી તો રંગ જુદા ધારણ કરતું એ પબમાં

છાનામાના આશિષ દેવા બેઠું હોય પરબમાં

શંકરની જળધારા બનવા કાયમ હોય તરસતું

…આ પાણી જેવું પાણી

 .

ડોલ ભરીને બેસું ત્યારે મારી સામે જુએ

ભીના સાદે કહેતું : ચલને જઈએ મારા કૂવે

વતનયાદમાં એ પણ મારી જેમ જ રોજ કણસતું

…આ પાણી જેવું પાણી

 .

( મુકેશ જોશી )

…મળે – ખલીલ ધનતેજવી

એક એવો માનવી સધ્ધર મળે,

જેના સરનામે મને ઈશ્વર મળે.

.

વામણા લોકોની વસ્તીમાં મને,

ક્યાંથી મારા માપની ચાદર મળે.

 .

કોઈની સામે ધરું છું હું આયનો,

ને અચાનક સામેથી પથ્થર મળે !

.

ચાલને દીવો હવે સળગાવીએ,

વાયરાને પણ જરા અવસર મળે.

 .

જે નગરમાં એ રહે છે ઠાઠથી,

એ નગરમાં નાનુંસરખું ઘર મળે.

 .

જે સતત અપમાન બીજાનું કરે,

એય ઈચ્છે માન કે આદર મળે !

 .

ચલ ખલીલ આ પગનાં છાલાં ફોડીએ,

શક્ય છે, એમાંથી પણ અત્તર મળે.

 .

( ખલીલ ધનતેજવી )

મટુકી માયાની – મહેશ શાહ

મટુકી માયાની તમે ફોડી, મીરાંબાઈ;

માખણ ખાધું રે કૃષ્ણ નામનું.

 .

સાંજ પડે પોટલી લીધી, મંજીરાં ને

સાંઢણીને એડીએ ઉપાડી,

મૂક્યો મેવાડ એની સાહ્યબીની સાથે

ને છોડ્યા એ લોકને અનાડી;

કામળી તે કૃષ્ણની ઓઢી, મીરાંબાઈ.

.

કાયાની કોટડીમાં પૂર્યો કાનુડો ને

જાગતી બેઠી છે પોતે બારણે,

ચાવીનો ઘા કર્યો છે સતસંગને દરિયે

કે હાથે ન આવે કોઈ કારણે:

તનનો તરાપો દીધો છોડી, મીરાંબાઈ.

 .

( મહેશ શાહ )

વસંતકાવ્ય – માલા કાપડિયા

હે કવિ,

ઉઘાડ તારા હૃદયની બંધ બારીઓ

વિસ્તરવા દે આકાશની અસ્મિતાને

અણુ અણુમાં

પ્રગટવા દે

શત શત સૂર્યફૂલ

પ્રણયના

ગીતને ઝૂમવા દે

તારા હોઠથી લઈને પગની થિરકન સુધી

કે

આજે છે નવો ઉઘાડ

અવકાશમાં

વસંતના આગમનને

વહાવી લઈ જવા દે

સંચિત વેદનાના સૂકા પર્ણો

જો,

આનંદના સહસ્ત્રદલ

તારી પ્રતિક્ષામાં

ગૂંજી રહ્યા છે

શંખનાદ નવા યુગનો !

 .

( માલા કાપડિયા )

કૃષ્ણ મારું સંવેદન – મહેશ શાહ

.

અપૂર્વ ભાવથી સ્મરણ હું કરું, કૃષ્ણ મારું સંવેદન

તમે બનો મુજ મંત્ર, ઊચરું, કૃષ્ણ મારું સંવેદન.

 .

બનો દ્રષ્ટિનો વિષય તમે ને રહો સ્થિર મુજ ખ્યાલે

ભૂલી શકું જે ક્ષણ તમને હું, સદાય મુજને સાલે,

અનુનય ભાવે વિનંતી કરું, કૃષ્ણ મારું સંવેદન.

 .

અધર વાંસળી વહો શ્યામ ને કરો ધામ મુજ શ્રવણે

નજર ખૂલે ત્યાં ઊભા તમે હો લખો એવું પાંપણે

અવિચળ ભાવે વિલોકી રહું, કૃષ્ણ મારું સંવેદન.

 .

મોરપિચ્છ ફરકાવો માથે, વહો પ્રાણ થઈ શ્વાસે

ધરો ચક્ર એક વાર આંખને આંજો પરમ ઉજાસે,

અનુપમ ભાવે નિહાળી રહું, કૃષ્ણ મારું સંવેદન.

 .

( મહેશ શાહ )

કોને હદપાર ? – પન્ના નાયક

ક્યારેક જરૂરી હોય છે

હૃદયને હદપાર કરી

ત્યાં પથ્થર મૂકવાનું

અને પછી

જીવવાનું.

 .

કદાચ

એવું પણ બને

કે કોઈક

આલિંગન ને ચુંબનો વડે

એ પથ્થરને કોરવાનો પ્રયત્ન કરે

અને

ખબર પણ ન પડે એમ

ધકેલી દે એને ખીણમાં

 .

આવું ન બને

એ માટે હું શું કરું ?

પથ્થરને પણ હદપાર કરું ?

 .

( પન્ના નાયક )

…ખુશ્બૂની સોબતમાં (એક હુસ્ને ખયાલ) – લલિત ત્રિવેદી

તમે પણ થૈ જશો, મિત્રો! અમર ખુશ્બૂની સોબતમાં

શરત એક જ કે જીવો ઉમ્રભર ખુશ્બૂની સોબતમાં

 .

શમી ગૈ છે બગીચાની ઉંમર ખુશ્બૂની સોબતમાં

સફળ થૈ ગૈ પવનની પણ સફર ખુશ્બૂની સોબતમાં

.

બને કે કળીઓથી પણ ઝીણી ઝીણી પંક્તિઓ ઊઘડે…

ગઝલ મારી ય ખીલતી હો અગર ખુશ્બૂની સોબતમાં

 .

દિવસ ઉદ્યાનમાં ઊગે ને રાત્રિ માળામાં સૂએ

મળી ગ્યું છે ભલું અમને ય ઘર ખુશ્બૂની સોબતમાં

 .

લુડકતાં જાય છે ચકચૂર એક ફૂલેથી બીજે ફૂલ

અડી ગૈ કોને રિન્દાના લહર ખુશ્બૂની સોબતમાં

 .

કળી શિવલિંગ હો એવી રીતે ઝાકળ કરે અભિષેક…

જડે સાક્ષાત એક કૈલાસ સર ખુશ્બૂની સોબતમાં !

 .

( લલિત ત્રિવેદી )

લઘુકાવ્યો – અબ્દુલ ગફાર કાઝી

(૧)

તડકાના પૂરમાં વગડો

બે કાંઠે છલકાતો જાય છે

ત્યારથી હું જોઉં છું

કેટલી બધી તણાતી જાય છે

કેસુડાની અપેક્ષાઓ…

 .

(૨)

ઘાસના ફળિયામાં

બેસીને

વરસાદી કવિતા

લખી રહ્યો છે

વાદળ નામનો કવિ…

 .

(૩)

કેટલીક

રંગીન માછલીની

વેદના

મેં છાપી છે

દરિયાના કોમ્પ્યુટરમાં…

 .

(૪)

રમઝાન હો કે

દિવાળી

કેટલીક મસ્ત મિજાજી

માછલીઓ ખરીદી-

કરવા નીકળી ગઈ છે

દરિયાની શાનદાર-

બજારમાં…

 .

(૫)

રાત્રિ ટ્રેનમાં વગર ટિકિટે

મુસાફરી કરી રહેલા ઘુવડને

સવારે તો ઝડપી લીધો

ટિકિટ ચેકર સૂરજએ…

 .

(૬)

સ્મિતનું ઘર ભલેને

દૂર લાગે

હું ચાલીને પહોંચી જઈશ

આંસુના ટેકે ટેકે…

 .

(૭)

પ્રીત હો કે

મૂંગું ગીત હો

પણ

હું નીકળી ગયો છું

એકાન્તપ્રિય

સંગીતની શોધમાં…

 .

(૮)

પ્રેમ ક્યારેય

છુપાતો નથી

એકાન્તપ્રિય આંખોમાં…

 .

(૯)

ચંદ્રના ખભા પર બેસીને

જાય છે ઝાકળ

ફૂલોના ઘેર…

 .

(૧૦)

મારા આંસુનો દરિયો

છલકાતો ગયો ને-

ત્યારથી બનતી ગઈ

તારા રૂમાલની હોડી…

 .

( અબ્દુલ ગફાર કાઝી )