પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

સ્વધર્મ,

સહજ, સત્ય સંકલ્પ

અને સ્નેહ સભર

ધારાએ કલ્યાણ કર્મના

શિવલીંગની પૂજા

એ જ સ્વધર્મ.

દેખીતા સ્થૂળ લાભાલાભથી દૂર,

બહુજનહિતાય શ્વાસની સુગંધ

એ જ સ્વધર્મ

કર્મેશ્વરનું રોકડુ રૂપ

એ જ સ્વધર્મ !

 

તું દ્રષ્ટિ, દર્પણ અમે !

 

(૨)

શ્રદ્ધા,

‘થાઓ’ એવી પ્રાર્થના

‘થયુ’માં પડઘાય

એ જ શ્રદ્ધા !

સંકલ્પ અને સિદ્ધિ

વચ્ચેના શૂન્ય અંતરના

ગતિ વિસ્ફોટનું નામ શ્રદ્ધા

કર્તાપણાના નિરસને,

સર્વેશ્વરની સર્વોપરિતાનું

સાક્ષીભાવે પૂજન

એ જ શ્રદ્ધા-સાક્ષાત્કાર !

 

તું સાઈ, શરણાગત અમે !

 

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

મા એટલે…(ચોથી માસિક શ્રદ્ધાંજલિ)

(23/08/1938 - 25/12/2012) Mummy in New York

(23/08/1938 – 25/12/2012)
Mummy in New York

.

પોતે સર્જેલી સૃષ્ટિમાં દરેક ઠેકાણે પહોંચી વળવાનું ઈશ્વર માટે અશક્યથયું. એટલે જ તેણે “મા’નું સર્જન કર્યું !

 .

તારાઓ આકાશની કવિતા છે, તો માતા પૃથ્વીની કવિતા છે.

 .

( હારગ્રેવ )

.

જગતમાં સહુના ઉપકારનો બદલો વળી શકે છે, ભક્તિભાવ વડે પ્રભુના ઉપકારો પ્રિછ્યાનો સંતોષ પણ વળે, બદલો નથી વાળી શકાતો એકમાત્ર માતાના ઉપકારનો !

 .

જે મસ્તી હોય આંખોમાં તે સુરાલયમાં નથી હોતી

અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી.

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મુકે ?

જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી.

 .

( સુરેન ઠાકર ‘મેહુલ’)

 

 

ભાઈ દે તો – ખલીલ ધનતેજવી

ભાઈ દે તો મિત્ર જેવો ભાઈ દે,

જિન્દગી અથવા તો એકલવાઈ દે !

 .

તું ખુદા શિખર દે અથવા ખાઈ દે,

પણ મને જીવનમાં બેપરવાઈ દે !

 .

લાખ અપરાધો ભલેને એ કરે,

જીભ પર એની ફક્ત સચ્ચાઈ દે !

 .

એ પછી તો સો વરસ જીવી શકીશ,

મોતને વાતોમાં તું અટવાઈ દે !

 .

જ્યાં ને ત્યાં જોયા કરે છે ચોતરફ,

એની આંખોમાં નજર સલવાઈ દે !

.

જો વિવેચક, હું સરળ રસ્તો કહું ?

આ ગઝલને મોરથૂથૂં પાઈ દે.

 .

મુખ્ય લોહીની સગાઈ પણ ખલીલ,

મા પછી તું મિત્રને સરસાઈ દે !

 .

( ખલીલ ધનતેજવી )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

પ્રાર્થના,

જે પ્રાપ્ત, તેની પ્રસન્ન પહોંચ

એ જ પ્રાર્થના !

પ્રત્યેક પળમાં પરમની

પ્રગટ હાજરીનાં

અહેસાસનો શબ્દોચ્છવ

એ જ પ્રાર્થના.

એકત્વના આરાધનની

અખંડ આનંદધારા

એ જ પ્રાર્થના !

 .

તું વાદક, વાંસળી અમે !

 .

(૨)

ધર્મ,

વ્યવહારે ઉઠતી અને

વિશ્વે ફેલાતી વિવેક સુગંધ

એ જ ધર્મ.

શૂન્ય સ્વથી અસીમ સર્વેશ્વર

ભણીની ગતિનું યાત્રાગાન

એ જ ધર્મ

પ્રકૃતિ, પુરુષ, પદાર્થ

અને પ્રાણીમાં વિલસી રહેલ

પરમને પૂર્ણે પામવા

એ જ સ્નેહધર્મ !

 .

તું ધર્મધજા, દંડ અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

હે નાથ,

તું પ્રેમ બનીને પ્રગટી રહ્યો છે ત્યારે

તને પૂર્ણ પામવાની અમારી પાત્રતાને

શુદ્ધ અને સિદ્ધ કરી દે.

અમારી દ્રષ્ટિમાં પ્રેમનું આંજણ થઈને

અમને તારા ભણી દોરી જાઓ, હે દેવ !

 .

પ્રસાદ :

જે વહેતું રહે, વિસ્તરતું રહે, શુદ્ધ હોય અને વિશુદ્ધ કરે,

પોષે અને પાવક કરે, અનંત પ્રસરે અને અસીમ હોય,

સમેટાઈ રહે અને સ્વને તથા સર્વને સિદ્ધ કરે એવા ઉજાસનું નામ જ પ્રેમ.

 .

(૨)

હે નાથ,

અમારા ઘન-અહંકાર, અંધકારને તારા તેજ અને તાપમાં ઓગાળી દે.

તારા પ્રેમમાં અમને પારદર્શક અને પવિત્ર કરી દે.

અમારા કર્તાભાવમાં તારી કરુણામાં વહેવડાવી દે, હે દેવ !

 .

પ્રસાદ :

ઈન્દ્રિયોના આધારે ઘટ્ટ થતો રહેતો અહંકાર એ જ ક્ષણિક સુખ. આત્મતત્વને અહમના ઓઝલમાંથી મુક્ત કરી દે, તે જ આનંદ. સુખને માત્રા અને મૂલ્યનું છોગું લાગી શકે, પણ આનંદ એ તો અનંતધારા.

 .

સુખી થતાં થતાં વધુ સુખી થવું એ સાફલ્યની ગતિ પણ સુખી કરતાં કરતાં આનંદિત થઈ રહેવું એ સાર્થક્યનો સાક્ષાત્કાર.

 .

(૩)

હે નાથ,

સંકલ્પની વેદી પર, સ્વ-શૂન્ય થઈ રહેવા ક્ષણોની આહૂતિનું યજ્ઞકર્મ અમને આપો.

પ્રગટીને પ્રકાશ થઈ રહેવાનીઆત્મસિદ્ધિમાં અમને ઉજાળો, હે દેવ !

 .

પ્રસાદ :

શાસ્ત્રજ્ઞાન, પાંડિત્ય, ધર્મના કર્મ વિધી વિધાન આ તો સાધન માત્ર.

સાધનને જ વળગી રહ્યે સિદ્ધિ છટકી જવાની.

ક્ષણના ફેરે સૂર્યદર્શનનું સુખ અમાસ થઈ રહે એ જ કમભાગ્ય.

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

બે કાવ્યો – સુરેશ દલાલ

(૧)

પંખીના ટહુકાથી ઊઘડે એવું

વહેલી સવારનું મૌન મને આપો.

 .

દિવસની ડાળ પર ઝૂલ્યા કરું

શબ્દોને અર્થોને ભૂલ્યા કરું

ભીતર ને ભીતર હું ખૂલ્યા કરું

ફૂલની સુવાસથી છલકે એવું

ઊજળી સવારનું મૌન મને આપો.

 .

મનની મિરાતનો હોય એક પ્રાંત

સરોવર જેવો હોય રસ્તો પણ શાંત

ચાલું પણ પગલાંમાં નીરવ એકાન્ત

પોતાના આભથી પ્રકટે એવું

ખુલ્લી સવારનું મૌન મને આપો.

.

(૨)

કવિતા અને જીવનના રાજમાર્ગે ઊભેલો હું

શબ્દનો મિત્ર છું

અને અનુભવનો પરમ મિત્ર.

 .

જ્ન્મ પહેલાંની

અને મૃત્યુ પછીની ક્ષણ સાથે

મારો નાતો બાંધું છું

નિરાકાર મૌન સાથે.

.

( સુરેશ દલાલ )

બૂમ પાડો ! – દિનેશ કાનાણી

આ તરફ ને એ તરફ બસ બૂમ પાડો

આવશે પાછી પરત બસ બૂમ પાડો.

 .

સાથ ને સંગાથ ગમતા હો ભલે પણ

વાત ખૂટે કે તરત બસ બૂમ પાડો.

 .

આમ તો ટહુકા જ ગમતા હોય સૌને

પણ પહેલી છે શરત બસ બૂમ પાડો.

 .

અર્થ એના ક્યાં કરે છે કોઈ સાચા

છોડી શબ્દોની મમત બસ બૂમ પાડો.

 .

ફાવશું કે ડૂબશું કે કોણ જાણે

ભાગ્યની છે આ રમત બસ બૂમ પાડો.

 .

( દિનેશ કાનાણી )

છ રચના – લાભશંકર ઠાકર

(૧)

માણસ માણસને શોધે છે, માણસમાં

ક્યારનો ?

છે ત્યારનો.

 .

(૨)

અર્થની દીવાલો અભેદ્ય છે ?

હુ નોઝ ?

ભાવાત્મક પ્રજ્ઞા.

તે ક્યાં છે ?

ધારણામાં.

ધારણા ક્યાં છે ?

સોનાના પારણામાં-

ઘસઘસાટ ઊંઘતી.

તું ક્યાં છે ?

પારણાના પડછાયામાં

જાગતો.

 .

(૩)

ભવિષ્યનાં

અવિરત બગાસાં

વર્તમાનને સંભળાય છે.

ક્યાં ?

પગથિયાં વગરના દાદરને

ચઢતાં પહેલાં.

 .

(૪)

એકલો જાને રે

એવું કોણ કહે છે ?

મારો પડછાયો.

 .

(૫)

ખીલા ઠોકાય છે હથોડા વગર ?

હા.

ક્યાં ?

હોવાના આભાસની આરપાર.

 .

(૬)

તારી ઉત્કટ પ્રતીક્ષા શેની છે ?

અવાજને સળગીને

ખાખ થતો જોવાની-સૂંઘવાની.

ક્યાં ?

છે અને નથીમાં.

 .

( લાભશંકર ઠાકર )

શબ્દપ્રસાદી – પ્રફુલ્લા વોરા

અમે તો આંખના આકાશમાં વાદળ ઉછેર્યાં છે,

કદી ગાજે, કદી વરસે, અમે અંજળ ઉછેર્યાં છે.

 .

સુંવાળા માર્ગમાં તોતિંગ ઊભા પહાડની ભીતર,

ઊછળતાં-કૂદતાં ઝરણાં તણાં ખળખળ ઉછેર્યાં છે.

 .

ભરી હો ચાંચમાં અટકળ અને પરબીડિયું ખાલી,

છતાં એ દોસ્ત ! રણમાં વીરડાં શા જળ ઉછેર્યાં છે.

 .

ફક્ત એકાદ ખોબો પામવા શી યાચના કરવી ?

તરો-તાજી તરસને રાખવા મૃગજળને ઉછેર્યાં છે.

 .

ભલે આયુષ્ય ટૂંકું પણ સિંહાસન શહેનશાહી ને-

ભર્યા દરબાર જેવા શોભતાં ઝાકળ ઉછેર્યાં છે.

 .

પ્રભુ મસ્તક નમાવું છું, પ્રસાદી શબ્દની આપી,

હૃદયનાં કોડિયે સંતોષનાં ઝળહળ ઉછેર્યાં છે.

 .

( પ્રફુલ્લા વોરા )

કઈ રીતે કરું – ખલીલ ધનતેજવી

એને આવડતું નથી કે દાદ કઈ રીતે કરું,

તો પછી શબ્દોને હું બરબાદ કઈ રીતે કરું !

 .

દિલ હંમેશાથી મગજ સાથે મગજમારી કરે;

બંને ખુદ મારાં  છે હું ફરિયાદ કઈ રીતે કરું !

 .

એનું કહેવું છે કે એને હું યાદ હું કરતો નથી,

પણ કદી ભૂલ્યો નથી તો યાદ કઈ રીતે કરું !

.

શત્રુઓ સામેય મારું મૌન મેં તોડ્યું નથી,

મિત્ર વાંકો થાય તો સંવાદ કઈ રીતે કરું !

 .

આપમેળે ધખધખે છે મારા ઘરનાં થાંભલા,

પણ હવે દીકરાને હું પ્રહલાદ કઈ રીતે કરું !

 .

રૂબરૂ આવે તો તડ ને ફડ કહી નાખું બધું,

પણ હવે સ્વપ્નામાં તો વિખવાદ કઈ રીતે કરું !

 .

તેં મને તો હસતાંરમતાં મનમાંથી કાઢી મૂક્યો,

હું તને મારામાંથી આઝાદ કઈ રીતે કરું !

 .

જો ‘ખલીલ’ એકેય ચ્હેરા પર નજર ઠરતી નથી,

આ ઉદાસ આંખોને હું આબાદ કઈ રીતે કરું ?

 .

( ખલીલ ધનતેજવી )