હું બારણે બારણે – રવીન્દ્રનાથ ટાગોર

હું બારણે બારણે ગામડાના રસ્તા ઉપર માગતો ફરી રહ્યો હતો, એટલામાં દૂરથી તારો સોનેરી રથ દેખાયો, જાણે કે કોઈ મહાન ભવ્ય સ્વપ્ન ખડું થયું હોય તેવો. મારા મનમાં આશ્ચર્યનો પાર ન રહ્યો !

આ રાજરાજેશ્વર જેવું કોણ હશે ? મારી આશાના મિનારા ઊંચા થતા ગયા. મને લાગ્યું કે હવે દુ:ખના દિવસો પૂરા થયા. અને હું તો ત્યાં વગર માગે મળી જનારા દાનની રાહ જોતો, અને ધૂળમાં વેરાયેલા સુવર્ણદ્રમ્મોનાં સ્વપ્નાં સેવતો, ઊભો રહ્યો.

હું જ્યાં ઊભો હતો ત્યાં જ રથ પણ અટક્યો. તારી અમીદ્રષ્ટિ મારા ઉપર પડી, તું સ્મિત કરતો નીચે ઊતર્યો. આહા આહા, મેં ધાર્યું કે છેવટે છેવટે મારા જીવનની આશાનો પૂર્ણ કુંભ છલકાવાની તૈયારીમાં છે.

પણ એટલામાં તો તેં જ અચાનક તારો જમણો હાથ લાંબો કર્યો અને કહ્યું : ‘તું મને આમાં શું આપે છે ?’

આ હા ! રાજરાજેશ્વર પોતે, ભિખારીના ભિખારી પાસે હાથ લાંબો કરે એ તો તારી રાજાની, મારા જેવા ભિખારીની કેવી રાજ-મશ્કરી હતી ? હું તો મૂંઝાઈ ગયો. અને અનિશ્ચિત જેવો ત્યાં ઊભો જ રહી ગયો. અને પછી મારા અંચળામાંથી, એક નાનકડામાં નાનકડો દાણો કાઢીને તને આપ્યો !

પણ આશ્ચર્યનું આશ્ચર્ય તો ત્યારે આવ્યું, જ્યારે દિનાન્તે મેં મારા દાણાનો ઢગલો જમીન ઉપર કર્યો – અને આહ ! એમાં એક દાણો સોનાનો હતો ! હું નિરાશામાં વેદનાભર્યું આક્રંદ કરી રહ્યો, અરે ! અરે ! અરે ! – મેં તને સઘળા જ દાણા આપી દીધા હોત તો !

( રવીન્દ્રનાથ ટાગોર, અનુ. ધૂમકેતુ )

તમારા ગયા પછી – નાઝિર દેખૈયા

દિલને નથી કરાર તમારા ગયા પછી

આંખે છે અશ્રુધાર તમારા ગયા પછી

 .

યત્નો કર્યા હજાર તમારા ગયા પછી

લાગ્યું ન દિલ લગાર તમારા ગયા પછી

 .

વીતી રહ્યો છે એક સરીખો સમય બધો

શું સાંજ, શું સવાર તમારા ગયા પછી

.

ખીલે તો કેમ ખીલે કળી ઉર-ચમન તણી

આવી નથી બહાર તમારા ગયા પછી

 .

મહેફિલ છે એ જ, એ જ સુરા, એ જ જામ છે

ચડતો નથી ખુમાર તમારા ગયા પછી

 .

જીવનનો તાંતણો છે તમારા જ દમ સુધી

તૂટી જશે ધરાર તમારા ગયા પછી

 .

‘નાઝિર’ને છેક ઓશિયાળો ના તમે કરો

કરશે ન કોઈ પ્યાર તમારા ગયા પછી

.

‘નાઝિરનો સાથ છોડી જનારા જરા કહો !

કોને કરે એ પ્યાર તમારા ગયા પછી

 .

( નાઝિર દેખૈયા )

આંસુ બની જો – પ્રમોદ અહિરે

આંસુ બની જો આંખથી કિસ્સો પડી જશે;

મનમંચ પરના નાટ્યનો પડદો પડી જશે.

 .

એક વાર મારી મરજીથી હું ક્રોસ પર ચઢ્યો,

ન્હોતી ખબર કે એ જ શિરસ્તો પડી જશે.

 .

એમાં નવીન ઘટનાનો કોઈ ખીલો ન ઠોક,

જર્જર સ્મરણની ભીંતથી ફોટો પડી જશે.

 .

વેરાન મન ને બાગ બનાવી તો લીધું પણ-

રોકો સ્મરણની આવ-જા રસ્તો પડી જશે.

 .

મારી તમામ ઊર્જા કામે લગાવું હું,

રહેવા દે દોસ્ત ! સૂર્ય આ ઝાંખો પડી જશે.

 .

ગઝલોનું ગાન કરવાને આવ્યા પતંગિયાં

આજે મુશાયરામાં જો સોપો પડી જશે.

 .

( પ્રમોદ અહિરે )

છતાં પણ કરે જ જાઓ

ડો. વર્ગીસ કુરિયનની ઓફિસમાં પ્રદર્શિત ‘અમૂલ’ વિધાનો

છતાં પણ કરે જ જાઓ

 .

તમને એક રચનાત્મક કામ સાકાર કરવામાં વર્ષો લાગે,

એનો નાશ એક જ રાતમાં થાય,

છતાં પણ તે કાર્ય કરે જ જાઓ.

 .

લોકો ભલે તર્કહીન હોય, સ્વાર્થી હોય,

છતાં પણ તેમને પ્રેમ કરતા જ રહો.

 .

આજે તમે જે સારું કામ કરશો, તે કદાચ કાલે ભુલાઈ જશે,

છતાં પણ સારાં કામ કરે જ જાઓ.

 .

જો તમે કોઈ સારું કામ કરશો તો લોકો તમારે માથે કોઈ છૂપા અને

સ્વાર્થી હેતુનો આરોપ મૂકશે,

છતાં પણ તમે સારાં કામ કરતા જ રહો.

 .

પ્રામાણિક અને સ્પષ્ટતા વક્તા બનવાથી તમને મુશ્કેલી પડી શકે !

છતાં પણ પ્રામાણિક અને સ્પષ્ટવક્તા જ બનો.

 .

વિશ્વને તમારું શ્રેષ્ઠ અર્પણ કરો અને મોં પર લાત ખાવ,

છતાં પણ વિશ્વને તમારું શ્રેષ્ઠ જ અર્પણ કરતા રહો.

 .

મહાન વિચારો ધરાવતા મહાન માણસોને પણ નાનામાં નાનું મગજ

ધરાવતા નાનામાં નાના માણસો નષ્ટ કરી શકે છે.

છતાં પણ તમે મહાન વિચારો કરતા જ રહો.

 .

જે નવું છે તે નવું પણ હોય, નવા સ્વરૂપમાં જૂનું પણ હોય,

છતાં પણ નવા નવા પ્રયોગો ચાલુ જ રાખો.

 .

લોકો કહે તો છે કે કચડાયેલાઓની તેમને ચિંતા છે, પણ હકીકતે તો

તેઓ પણ માત્ર પ્રભાવશાળીને જ પૂજે છે,

છતાં પણ કોઈ ને કોઈ કચડાયેલાઓની ચિંતા કરતા જ રહો.

 .

મહાન વિચારો હંમેશા મહાન વાસ્તવિકતામાં ન પણ પલટાય,

છતાં પણ પ્રયત્ન કરતા જ રહો.

 .

જો તમે સફળ બનશો, તો તમને મિત્રો બનાવટી મળશે અને શત્રુઓ સાચા,

છતાં પણ તમે સફળતા મેળવતા જ રહો.

 .

( વર્ગીસ કુરિયનના ‘મારું સ્વપ્ન’ પુસ્તકમાંથી )

અધૂરો ઘડો – ભગવતીકુમાર શર્મા

અધૂરો ઘડો છું, હું છલકાઉં પણ

ને ખાલી થયા બાદ ઊભરાઉં પણ !

 .

હું પસ્તિત્વને આજ પામ્યો ભલે;

ભવિષ્યે ફરીથી હું વંચાઉં પણ.

 .

કરું છું હું પસ્તાવો નિજ પાપનો;

આ અશ્રુથી ભીતરમાં ધોવાઉં પણ.

 .

છું ઈશ્વરના સાંનિધ્યમાં હું છતાં

હરણ જોઈ સોનેરી લલચાઉં પણ.

 .

રઝળપાટ લમણે લખ્યો છે ભલે;

હું મારા અસલ ઘર ભણી જાઉં પણ.

 .

ગડી વાળીને તેં જ મૂક્યો હતો;

હું હૈયાધબકમાં જ દેખાઉં પણ.

 .

દીવાલોથી અળગો થયો છું છતાં

હું પડધો બનીનેય ટકરાઉં પણ.

 .

( ભગવતીકુમાર શર્મા )

दीवारों-दर से – निदा फाजली

दीवारों-दर से उतर के परछाइंयाँ बोलती हैं

कोई नहीं बोलता जब तन्हाइयाँ बोलती हैं

 .

परदेस के रास्तों में रुकते कहाँ हैं मुसाफिर

हर पेड कहता है किस्सा, खामोशियाँ बोलती हैं

 .

मौसम कहाँ मानता है तहजीब की बंदिशों को

जिस्मों से बाहर निकल के अंगडाइयाँ बोलती हैं

 .

इक बार तो जिन्दगी में मिलती है सबको हुकूमत

कुछ दिन तो हर आईने में, शहजादियाँ बोलती हैं

 .

सुनने की मुहलत मिले तो आवाज है  पत्थरों में

उजडी हुई बस्तियों में आबादियाँ बोलती हैं

 .

( निदा फाजली )

રસભર થઈએ – અનિલ ચાવડા

મંદ મંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ

એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ

 .

અંધારું અંધારે બાંધી

અજવાળે અજવાળું

ચાલ ખોલીએ કૂંચી થઈને

વાદળ નામે તાળું

 .

તાળું ખોલી ધીમું બોલી ઝરમર ઝરમર થઈએ

મંદ મંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ

 .

જળ પર વહેતાં લીસ્સાં લીસ્સાં

તરંગ વસ્ત્રો ખેંચી

કયું કામ કોને કરવાનું
ચાલો લઈએ વ્હેંચી

 .

કૂણી કૂણી કમળ પાંદડી વચ્ચે ઘર ઘર થઈએ

મંદ મંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ

 .

( અનિલ ચાવડા )

કોઈ નથી – ખલીલ ધનતેજવી

સૌ સંબંધો ગૂંથવાને તાતણું કોઈ નથી,

કોને માટે હું હવે ચાદર વણું કોઈ નથી.

 .

આપણા સંબંધ પાડોશીથી પરદેશી સુધી,

આપણા પોતાના ઘરમાં આપણું કોઈ નથી.

 .

વાસનાના સપ્તરંગી ઘરનો નકશો જોઈ લો,

ચોતરફ ભીંતો છે, બારી બારણું કોઈ નથી.

 .

નાક ક્યાં છે, સાવ નકટી ભવ્યતા છે શહેરની,

છે ગગનચુંબી ઈમારત, આંગણું કોઈ નથી.

 .

એટલે ના ગમતી વાતો સાંભળી લેવી પડે,

આ જગત આખાના મોઢે ઢાંકણું કોઈ નથી.

 .

શ્વાસની ધૂણી ધખાવીને બદન તાપ્યા કરો,

રાત ટાઢીબોળ છે ને તાપણું કોઈ નથી.

 .

સુખ કે દુ:ખ, મિત્રો કે શત્રુ, આપણા કે પારકા,

સૌની સાથે પ્રીત છે, અળખામણું કોઈ નથી.

 .

છે ખલીલ એવા ય ધરખમ માણસો આ શહેરમાં,

પોતપોતાનામાં પણ પોતાપણું કોઈ નથી.

 .

( ખલીલ ધનતેજવી )

શું છે દોસ્ત – પ્રમોદ અહિરે

પહેલા તો એને ખોજ – કે તું તત્વ શું છે દોસ્ત !

સમજાશે આપમેળે – કે બુદ્ધત્વ શું છે દોસ્ત !

 .

ભીતરથી વાંસ જેવો તું પોકળ થવા તો માંડ

જાણીને કરશે શું તું કે કૃષ્ણત્વ શું છે દોસ્ત !

 .

પહેલા તો પાપ-પાપ વિભાજિત કરી લે – સહુ,

પૂછવું નહીં પડે પછી શુદ્ધત્વ શું છે દોસ્ત !

 .

અસ્તિત્વ ખંડ-ખંડ બનાવ્યું છે કોણે દોસ્ત !

એ જાણશે તો જાણશે એકત્વ શું છે દોસ્ત !

 .

ઈચ્છાના નખથી થાય ઉઝરડાઓ શ્વાસ પર

આના સિવાય બીજું તો વૃદ્ધત્વ શું છે દોસ્ત !

 ,

( પ્રમોદ અહિરે )

કબૂલ – એષા દાદાવાળા વ્યાસ

.

દરિયો ખારો છે કબૂલ,

પણ એમાં માછલીની ભૂલ

આંસુઓ આવી જાય છેક એવી રીતે…

ભીતરને કહેવાય કૈં લે, ખૂલ…!!?

 .

માછલીઓ કે’, એમાં મારો ક્યાં વાંક કાઢો

ભીતરને મારવા ક્યાં બેસીએ તાળું,

આંસુ સાચવીને અમે ય રાખ્યાં’તા

એ તો વેદનાએ ફૂંક્યું દેવાળું

 .

પણ એમ કરી ભીતર ખાલી જો થાતું,

તો આંસુનું આવવું વસૂલ

દરિયો ખારો છે, કબૂલ…!

 .

કોઈ માણસના હોય કે માછલીના હોય

દોસ્ત,આંસુ તો આંસુ કહેવાય,

રડવું આવે ત્યારે રડી લેવાનું

એને પાણીની જેમ ના પીવાય….!

 .

હૃદયના રસ્તેથી એ આંખોમાં આવે,

એનું ઠેકાણું નથી કૈં દૂર…

દરિયો ખારો છે કબૂલ…

.

દરિયાનું પાણી ને આંખોનું પાણી

બે ઉની ખારાશ તમે માપી જોજો

મારું માનો તો એકને હોઠે

ને એકને હૈયે મૂકી તમે ચાખી જોજો

 .

આંસુનાં મોજાં ના હોય એ તો ટીપામાં હોય,

એનાં આવે ન કોઈ દિ પૂર…

દરિયો ખારો છે કબૂલ…!!

 .

( એષા દાદાવાળા વ્યાસ )